Home Exclusive કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની વિજાપુરના હરિભક્તને ઉઠાઈ લેવાની ધમકી : સાંભળો સમગ્ર...

કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની વિજાપુરના હરિભક્તને ઉઠાઈ લેવાની ધમકી : સાંભળો સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ

https://www.youtube.com/watch?v=LEhGd230xL4

Face of Nation 10-02-2022 : સ્વામિનારાયણ એ એક સંપ્રદાય છે. આ સંપ્રદાય અનેક ભાગોમાં વહેંચાયેલો છે. કાળુપુર, વડતાલ, વઢવાણ, બીએપીએસ, વાસણા, અબજીબાપા જેવા અનેક ભાગોમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના અનુયાયીઓ વહેંચાયેલા છે. કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી અવારનવાર વિવાદમાં આવી ચુક્યા છે. તેમના પિતા અને હાલના આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ પણ તેમના લાલજીકાળ દરમ્યાન વિવાદમાં આવ્યા હતા. જો કે હાલ મૂળ મુદ્દાની વાત કરીએ તો તાજેતરમાં ગત જાન્યુઆરી મહિનામાં વિજાપુરના હરિભક્તને ધમકાવવા લાલજીએ ફોન કર્યો હતો અને આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઇ ગયું. બાબત એટલી જ હતી કે, વિજાપુરના સત્સંગીઓએ અવારનવાર કાળુપુરના સંતોનો કથા-વાર્તા માટે સંપર્ક કર્યો તેમ છતાં તેમને કોઈએ ભાવ ન આપ્યો ત્યારે આખરે હરિભક્તોએ વડતાલના હરિકૃષ્ણ સ્વામીને કથા-વાર્તા કરવા માટેનું આમંત્રણ આપીને એક કાર્યક્રમનું આયોજન કર્યું. બસ, લાલજીનું મગજ ફાટ્યું અને પછી હરિભક્તને ફોન કરીને રીતસર ખખડાવી નાખ્યો અને ઉઠાવી લેવાથી લઈને કાયદેસરની કાર્યવાહી સુધીની ધમકીઓ આપી દીધી.
નગ્ન સેલ્ફીકાંડથી વિવાદમાં આવેલા કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીનું વધુ કારનામું પ્રકાશમાં આવ્યું છે. ફેસ ઓફ નેશનને મળેલી એક ઓડિયો કલીપ કે જે કોલ રેકોર્ડિંગની છે જેમાં લાલજી વિજાપુરના હરિભક્તને ધર્મસભાનું આયોજન રદ્દ કરવા મામલે ધમકાવી રહ્યા છે. ધર્મના ધજાગરા ઉડાડી દેતા આવા કિસ્સાઓ ખરેખર અંધ ભક્તોની આંખ ઉઘાડનારા સાબિત થાય છે. લાલજી મહારાજ, લાલજી મહારાજ, બાપજી, બાપજી કહીને સહજતા અને નમ્રતાથી હરિભક્ત વાત કરી રહ્યા હોવા છતાં લાલજી ધર્મના અનુયાયીઓ તરફથી આપવામાં આવતા આદર અને પદની મર્યાદાઓ ચુકી ગયા હતા. ધાર્મિક કાર્યક્રમ થશે તો વાન મોકલીને બધાને ઉઠાવી લેવાની ધમકી આપનાર આવા લાલજીઓની માનસિકતા છતી થઈ રહી હોવા છતાં આંધળા ભક્તો લાલજી મહારાજ, લાલજી મહારાજ કરે તે કેટલું યોગ્ય છે ?
છોકરીને નગ્ન સેલ્ફી મોકલીને સેક્સની માંગ કર્યા બાદ વિવાદમાં આવેલા કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીના તાજેતરમાં લગ્ન લેવાયા હતા અને ત્યારબાદ રદ્દ પણ થયા, બાદમાં તેણે પ્રેમ લગ્ન કરી લીધા હોવાની ચર્ચાઓ પણ ઉઠી. જો કે ચર્ચા મામલે સંપ્રદાયે કોઈ પણ ખુલાસો કર્યો નહિ તેવામાં તાજેતરમાં જ વિજાપુરના ભરત નામના એક હરિભક્તને ધમકાવતા હોવાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું. આ કોલ રેકોર્ડિંગે સંપ્રદાયના અનુગામી આચાર્ય કેવી માનસિકતા ધરાવે છે તેનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું. જો ધર્મના વડા કે અનુગામી આવી માનસિકતા ધરાવતા હોય તો ધર્મનો વિકાસ કે ધર્મના અનુયાયીઓમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બની રહેશે તેવી આશા રાખવી નિરર્થક છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિમુખ છે. એટલે તેઓ કેવી રીતે આવી શકે તેમ કહીને લાલજીએ મર્યાદા ચૂકીને વિજાપુરના ભરત નામના હરિભક્ત સાથે વાતચીત કરી હતી. ઓડિયોમાં હરિભક્તને ધમકાવતા લાલજી કહી રહ્યા છે કે, “આ પોગ્રામ થવો ન જોઈએ, નહીં તો હું મારી રીતે બંધ કરાવી દઈશ. તમારાથી થાય તે રીતે બંધ કરો હું જાણતો નથી.” વળી, વચ્ચે હરિભક્ત ભૂલથી સ્વામી બોલી જાય છે તો લાલજીનો પારો છટકે છે અને કહે છે કે, “હું સ્વામી નથી બોલતો. આ પોગ્રામ બંધ થવો જોઈએ પછી નહીં તમને મજા આવે કે નહીં પેલા હરિકૃષ્ણને મજા આવે” લાલજી આટલેથી નહીં અટકીને કાયદેસરની કાર્યવાહીની ધમકી આપી હતી અને વેન મોકલીને જે બેઠા હશે તેમને ઉઠાવી લેવાની પણ ધમકી આપી દીધી હતી.
ધર્મની આડમાં ચાલી રહેલા ધંધાઓ, માનસિકતાઓ કે ધર્મના વડાઓની વૈચારિક શૈલી આવા કિસ્સાઓ થકી ઉઘાડી પડી જાય છે. ધર્મના વડાઓ, ગાદીપતિઓને બનાવનારા તેમના અનુયાયીઓ, ભક્તો જ હોય છે તેવામાં ધર્મના વડા કે ગાદીપતિ બનીને બેઠેલા વ્યક્તિ તેની મર્યાદા ચુકી જાય કે ખોટું કરી રહ્યા હોય ત્યારે અનુયાયીઓ અને ભક્તોની પણ એટલી ફરજ બને છે કે જઈને આવા વડા કે ગાદીપતિઓને પ્રશ્ન કરે કે તમારા દ્વારા થતું વર્તન યોગ્ય છે કે કેમ ? નહીં કે ફક્ત ભગવાનને ભજવાની અને ભગવાનને જ ધ્યાને રાખવાની વાત કરવામાં આવે. ખેર ! હરિભક્તોને જ જો ગમતું હોય કે સ્વીકાર્ય હોય તો કોઈ પણ બાબતોને અવકાશ નથી કે કોઈ પણ આવી ઘટનાઓને સ્થાન નથી. જેથી તમામ મુદ્દાઓ અને તમામ સ્થિતિઓ માટે હરિભક્તો જ જવાબદાર હોય છે. (નોંધ : ફેસ ઓફ નેશન કોઈ સંપ્રદાય પ્રત્યે વેરભાવ કે અણગમાથી કોઈ સમાચાર રજૂ કરતું નથી કે એવા કોઈ ઈરાદાઓ પણ નથી પરંતુ સંપ્રદાયની આડમાં ચાલી રહેલા વિવાદોને સમાચારના રૂપમાં સ્થાન આપે છે. ફેસ ઓફ નેશનને સ્વામિનારાયણ સંપ્રદાય કે આચાર્ય સાથે કોઈ લેવાદેવા નથી. ફેસ ઓફ નેશન મળેલી માહિતી અને હરિભક્તોની રજૂઆતોને લઈને સમાચાર રજૂ કરે છે.) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

વાંચો આવતા અંકે : જુઓ લાલજીના વિદેશી રૂપરંગ એક્સક્લુઝિવ ફોટો દ્વારા

આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU