Face Of Nation 01-06-2025 : સફળ વ્યક્તિના ઘડતરમાં સંઘર્ષ મહત્વની ભૂમિકા ભજવી જાય છે. જે વ્યક્તિ સંઘર્ષનો સામનો કરીને આગળ આવે છે તે હંમેશા તેજસ્વી સાબિત થાય છે. આવું જ એક વ્યક્તિત્વ એટલે બનાસકાંઠામાં આવેલા અને ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં જન્મેલા રામચંદ્ર વચ્છાની. જેઓની તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. વકીલથી લઈને જજ સુધીના સફરમાં તેઓએ ઝાડ નીચે અભ્યાસ કરીને એસટીમાં અવરજવર સુધીના અથાગ સંઘર્ષ બાદ તેઓ ગુજરાત હાઇકોર્ટના જજ બન્યા છે.
ગુજરાત હાઇકોર્ટના જજ બનેલા રામચંદ્ર વચ્છાનીનો જન્મ અંબાજી ખાતે વેપારી પરિવારમાં થયો. પિતા સ્વ. ઠાકુરદાસ પ્રિતમદાસ વચ્છાની. જેમને 4 પુત્ર જેમાં ત્રીજા નંબરના પુત્ર રામચંદ્ર વચ્છાની.અંબાજી ખાતે તેમના પરિવારના ભાઈઓ અને નજીકના મિત્રોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, તેઓ બાળપણમાં જ્યારથી સમજતા થયા ત્યારથી પિતાની સાથે રોજ સવારે કૈલાશ ટેકરી મહાદેવ જતા અને આરતી કર્યા બાદ શાળાએ ભણવા જતા. પ્રથમ સરકારી પ્રાથમીક શાળા અને ત્યારબાદ અંબાજી ગ્રામ પંચાયત માધ્યમીક શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. ધોરણ 12માં ટોપ કર્યું ત્યારબાદ અમદાવાદ ગુજરાત કોલેજ અને પછી સેંડ મેરીઝ કોલેજથી ગ્રેજ્યુએશન કરી કાયદાનો અભ્યાસ તેમણે સર એલ.એ શાહ કોલેજમાં કર્યો હતો. વકીલાતના અભ્યાસ બાદ બનાસકાંઠાની વિવિધ કોર્ટમાં તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. જીવનમાં આગળ વધવાના ઉદેશ્ય સાથે આટલેથી સંતોષ નહિ માનીને તેમણે પોતાની મહેનત ચાલુ રાખી. પોતાના માતા પિતાને આદર્શ ગણનારા રામચંદ્ર વચ્છાની બાળપણથી ભક્તિભાવમાં અને પ્રભુ ભક્તિમાં રસ દાખવતા હતા. ભગવાન રામ અને હનુમાનજીની વિશેષ ભક્તિ આરાધના તેઓ કરતા હોય છે. 2011માં તેઓ ડિસ્ટ્રક્ટ જજ બન્યા. અંબાજીથી પાલનપુર કોર્ટમાં વકીલ તરીકે સતત 2 વર્ષ સુધી લોકલ બસમાં અપડાઉન કર્યું. ઘણી તેઓને વખત અંબાજીથી પાલનપુર સુધી ઉભા રહેવું પડતું હતું.
અંબાજી ખાતે રહેતા તેમના ભાઈ અને નજીકના મિત્રોએ જણાવ્યું કે, તેઓ ભાટવાસ પોતાના ઘરેથી સાઇકલ લઈને ધોરણ 10 થી 12 સુધી કૈલાશ ટેકરી અને યોગાશ્રમના અલગ અલગ ઝાડ નીચે બેસીને એકાંતમાં અભ્યાસ કર્યો ત્યારબાદ વધુ અભ્યાસ માટે અમદાવાદ ગયા. ઉચ્ચ કક્ષા ઉપર પહોંચવા માટે વતન છોડવું પડતું હોય છે અને જ્યારે પરિણામ આવે ત્યારે લોકો ગર્વ અનુભવતા હોય છે. તેવી જ ક્ષણ આજે અંબાજી માટે છે. રામચંદ્ર વચ્છાનીની સફળતામાં સૌથી મોટો ફાળો તેમના સ્વ.માતા-પિતા, પરિવાર, મિત્રો અને અંબાજીના સાધુ સંતોનો વિશેષ રહ્યો છે. રોજ સવારે કોર્ટ જતા પહેલા તેઓ પોતાના માતાપિતાની તસ્વીરને હાથ જોડીને અને ભગવાનની ભક્તિ કરીને નીકળવાનો તેમનો નિત્યક્રમ છે. જજ બન્યા બાદ અવારનવાર તેઓ અંબાજી આવતા ત્યારે તેઓ તેમના મિત્રોને અને ગામના બાળકોને ખાસ મળતા અને કહેતા કે તમે પણ ભણો અને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચો અને અંબાજીનું નામ રોશન કરો. કોઈને કંઈપણ માહિતી જોઈતી હોયતો મારી સલાહ લો.
અંબાજીના પનોતા પુત્ર સામાન્ય વકીલથી હાઇકોર્ટ જજ સુધી પહોંચતા સમગ્ર અંબાજીના લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી. અંબાજી ખાતે રામચંદ્ર વચ્છાની જજ બનીને પોતાના ઘરે આવતા મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. અંબાજીના તેમના મિત્રો, પરિવારજનો, પરશુરામ પરિવાર અને અલગ અલગ સમાજ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
મારી બાજુમાં જ વીઆઈપી ગાડી આવી અને બૂમ પડી, “રાજુભાઈ”
હું ભૈરવજી મંદીરની પાછળની બાજુ ઊભેલો હતો. રસ્તો ક્રોસ કરવો હતો પણ ત્યાંથી કોઈ VIPની ગાડી નીકળવાની હતી માટે ટ્રાફિક રોકી રાખ્યું હતો. VIP ગાડી આવી પણ મારી બાજુમાં આવતા ગાડી ધીમી પડી. હું ગાડીમાં જોતો હતો કોણ VIP છે અને ત્યાં તો ગાડીનો કાચ ખુલ્યો અને ગાડીમાંથી અવાજ આવ્યો કે, રાજુભાઈ પંચાલ. મે જોયું તો આપણો પરમ મિત્ર રામ. હું નજીક ગયોને બન્ને ખૂબ ખુશ થયા ઘણા વર્ષો પછી એક બીજાને જોયા. રામે મારો ચેહરો યાદ રાખ્યો મારા માટે બહુ મોટી વાત હતી,પછી તેને સાથે જમવાનું આમંત્રણ આપ્યું. હું બીજા મિત્રોને ફોન કર્યો દેવેન્દ્ર અગ્રવાલ, દેવો ભાટિયા, હરીશ પંચાલ, ભરત લખવારા બધા ભેગા થઈને મળવા ગયા, રામે અમને ખુબ પ્રેમથી આવકાર્યા આટલી મોટી પદવી છતાં સંપૂર્ણ મિત્ર ભાવ રામ પાસેથી જાણ્યું. ત્યારબાદ અમે મિત્રો ઘણા કલાક સુધી બેઠાને સાથે ભોજન કર્યું. : (રાજુભાઈ, અંબાજીના રહેવાસી અને રામચંદ્ર વચ્છાનીના મિત્ર) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).
ઊંઝાના ચાર ટ્રાન્પોર્ટરો વિરુદ્ધ પ્રબોધ શર્માએ અરજી કરી !, ટ્રક રોકવી તોડ કરવાનું સુનિયોજિત કાવતરું